
ઘૂંઘરાંના મધુર ઝનકાર અને તાલબદ્ધ નર્તન સાથે ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિર પ્રાંગણમાં શાસ્ત્રીય નૃત્યના મહાકુંભ ‘ઉત્તરાર્ધ મહોત્સવ–2026’નો શાનદાર પ્રારંભ થયો. ઊર્જા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની પ્રેરક અને ગૌરવસભર ઉપસ્થિતિમાં યોજાયેલા આ મહોત્સવે કલા, સંસ્કૃતિ અને વારસાના અદ્ભુત સંગમનો નયનરમ્ય નજારો સર્જ્યો.
પ્રારંભિક સત્રમાં દેશભરના ખ્યાતનામ શાસ્ત્રીય નૃત્ય કલાકારોએ પોતાની કલાત્મક પ્રસ્તુતિથી ઉપસ્થિત દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા. ઓડિસી, ભરતનાટ્યમ, મણીપુરી, કથ્થક અને કુચિપુડી જેવી ભારતીય શાસ્ત્રીય નૃત્યશૈલીઓની મનમોહક રજૂઆતથી સૂર્યમંદિરનું પ્રાંગણ જીવંત બની ઊઠ્યું. પ્રાચીન શિલ્પકળા અને આધુનિક પ્રકાશ વ્યવસ્થાના સંયોજનથી સમગ્ર માહોલ અદ્વિતીય સૌંદર્યથી ઝળહળી ઉઠ્યો.
ઊર્જા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, મોઢેરા સૂર્યમંદિર જેવી ઐતિહાસિક ધરોહરમાં શાસ્ત્રીય નૃત્ય મહોત્સવનું આયોજન કરવું એ ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાનો ગૌરવ છે. તેમણે કહ્યું કે, ઉત્તરાર્ધ મહોત્સવ ભારતીય કલા અને સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરવાનો મહત્વપૂર્ણ પ્રયાસ છે. આવા કાર્યક્રમો યુવા પેઢીને પોતાની પરંપરા સાથે જોડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
મહોત્સવ દરમિયાન દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા કલાકારોએ પોતાની વિશિષ્ટ નૃત્યશૈલી દ્વારા ભક્તિ, શ્રદ્ધા, પ્રેમ અને આધ્યાત્મિકતાના ભાવોને જીવંત કર્યા. તાલ, લય અને અભિનયની સુમેળભરી રજૂઆતથી પ્રેક્ષકો લાંબા સમય સુધી તાળીઓના ગડગડાટ સાથે કલાકારોને વધાવ્યા.
‘ઉત્તરાર્ધ મહોત્સવ–2026’ આગામી દિવસોમાં પણ વિવિધ શાસ્ત્રીય નૃત્ય પ્રસ્તુતિઓ સાથે ચાલુ રહેશે, જેમાં દેશ-વિદેશના કલા રસિકો ભાગ લેશે. આ મહોત્સવ મોઢેરા સૂર્યમંદિરને માત્ર ઐતિહાસિક નહીં પરંતુ જીવંત સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે નવી ઓળખ આપશે અને ગુજરાતની કલાત્મક વિરાસતને નવી ઊંચાઈ પર લઈ જશે.





