
ભારત પોતાની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર અને પરંપરાગત હસ્તકળાઓ માટે વિશ્વભરમાં જાણીતી ઓળખ ધરાવે છે. આ પરંપરાગત કલાઓમાં ગુજરાત અને ખાસ કરીને સુરતની જરીકલા વિશેષ સ્થાન ધરાવે છે. ગ્રીક વિદ્વાન મેગેસ્થનીઝના ગ્રંથોમાં પણ જેનો ઉલ્લેખ જોવા મળે છે તેવી સુરતની જરી-જરદોશી કલા આજે GI ટેગ સાથે દેશ-વિદેશમાં પોતાની આગવી ઓળખ સ્થાપિત કરી ચૂકી છે. જોકે, સમય સાથે બદલાતી ટેક્નોલોજી અને મશીનાઈઝેશનના યુગમાં આ કલા લુપ્ત થવાની કગારે પહોંચી હતી. આવી પરિસ્થિતિમાં સુરતના સગરામપુરાનો એક જરીવાલા પરિવાર છેલ્લા ૧૨૦ વર્ષથી વધુ સમયથી આ અમૂલ્ય પરંપરાને જીવંત રાખી રહ્યો છે.
સુરતની ઓળખ માત્ર ઉદ્યોગો કે ખાણીપીણી સુધી સીમિત નથી, પરંતુ જરી ઉદ્યોગ જેવી પરંપરાગત કલાઓએ પણ શહેરને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવી છે. સગરામપુરામાં સ્થિત આ જરીવાલા પરિવાર દ્વારા પેઢી દર પેઢી સંવર્ધિત થતો જરી ઉદ્યોગ સ્વદેશી ભાવના, પરંપરા અને રોજગારીનું જીવંત પ્રતિક બની રહ્યો છે. આ પરંપરાગત જરી ઉદ્યોગની શરૂઆત જેકીશનદાસ ચપડીયા દ્વારા કરવામાં આવી હતી. તેમના પ્રયત્નોથી શરૂ થયેલો આ વારસો આજે ચોથી અને પાંચમી પેઢી સુધી સફળતાપૂર્વક આગળ વધ્યો છે.
સમય બદલાતો ગયો તેમ જરી ઉદ્યોગ સામે અનેક પડકારો આવ્યા, પરંતુ પરિવારની નવી પેઢીએ પરંપરાગત કારીગરીને આધુનિક ટેક્નોલોજી સાથે સંયોજિત કરીને તેને નવી દિશા આપી છે. હાથકામની બારીકાઈ, શુદ્ધતા અને ગુણવત્તા જાળવી રાખીને આધુનિક ડિઝાઇન અને બજારની માંગ મુજબ જરી ઉત્પાદનો તૈયાર કરવામાં આવે છે.
આ પરંપરાગત ઘરેલુ જરી ઉદ્યોગ દ્વારા આજે ૫૦થી વધુ લોકોને સીધી રોજગારી મળી રહી છે. સ્થાનિક કારીગરો, મહિલાઓ અને યુવાનોને રોજગાર સાથે આત્મનિર્ભર બનવાની તક મળી રહી છે. સુરતની GI ટેગ ધરાવતી જરીકલા માત્ર એક વ્યવસાય નહીં, પરંતુ સંસ્કૃતિ, ઇતિહાસ અને પરંપરાનું જીવંત પ્રતિબિંબ છે.
સગરામપુરાનો જરીવાલા પરિવાર પોતાની અવિરત મહેનત અને સંકલ્પથી સુરતની આ વિરાસતને નવી પેઢી સુધી પહોંચાડીને ગુજરાતની ગૌરવભરી પરંપરાને સતત જીવંત રાખી રહ્યો છે. ✨





