
જૂનાગઢ: ગરવા ગિરનારની ગોદમાં અને ભવનાથ તળેટીમાં પરંપરાગત રીતે યોજાતો મહાશિવરાત્રીનો મેળો આ વર્ષે વધુ ભવ્યતા અને દિવ્યતા સાથે યોજાવાનો છે. આ મહામેળાની વિશેષ તૈયારીઓના ભાગરૂપે આજે જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવાસિયાએ ગિરનાર દરવાજાથી ચાલીને ભવનાથ મંદિર સુધી તેમજ રવેડીના વિસ્તૃત રૂટનું જાત નિરીક્ષણ કર્યું હતું.
આ રૂટ નિરીક્ષણ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.પી. પટેલ, જિલ્લા પોલીસ વડા શ્રી સુબોધ ઓડેદરા, પ્રાંત અધિકારી તથા મેળા અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ અને મેળાની વિવિધ કમિટીના અધ્યક્ષો સહિતના અધિકારીઓ કલેકટરશ્રીની સાથે રહ્યા હતા. રસ્તામાં જ્યાં જ્યાં ભાવિકોની સગવડતા માટે વિશેષ વ્યવસ્થાની જરૂર જણાઈ, ત્યાં સંબંધિત અધિકારીઓને તાત્કાલિક કામગીરી માટે સૂચનાઓ આપવામાં આવી હતી.
જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને સાથે રાખીને કરાયેલા આ રૂટ નિરીક્ષણ દરમિયાન મહાશિવરાત્રીના મેળામાં પધારતા લાખો શ્રદ્ધાળુઓને કેન્દ્રમાં રાખીને પીવાનું પાણી, આરોગ્ય સેવાઓ, શૌચાલય, પાર્કિંગ, પરિવહન વ્યવસ્થા સહિતની સુવિધાઓ માટે સ્થળ પરથી જ સ્પષ્ટ દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા. સાથે જ મેળાની ભવ્યતા વધે તે માટે સુશોભન લાઇટિંગ અને ડેકોરેશન અંગે પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધી અંદાજે 3.5 કિલોમીટર વિસ્તારમાં સમગ્ર મેળાનું આયોજન થશે. આ માર્ગ પર ભાવિકોને લીંબુપાણી, છાસ સહિતની તાત્કાલિક રાહતરૂપ સેવાઓ ઉપલબ્ધ કરાવવા વિવિધ સંસ્થાઓ સાથે સંકલન કરવામાં આવશે. ઉપરાંત સમગ્ર રૂટ પર મેળાની ગરિમા મુજબ વિશેષ સુશોભન કરાશે.
મહાશિવરાત્રી મેળાના પ્રથમ દિવસે સાંજે યોજાનારી સાધુ-સંતોની ડમરૂ યાત્રા, મહાઆરતી, ધર્મસભા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોને આખરી સ્વરૂપ આપવા અંગે પણ બેઠક દરમિયાન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
રૂટ નિરીક્ષણ દરમિયાન દામોદર કુંડ, રામટેકરી સર્કલ, નવા ઉમેરાયેલા રવેડી રૂટ અને મૃગીકુંડ સહિતના સ્થળોએ ભાવિકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે જરૂરી ફેરફારો કરવા સંલગ્ન અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી.
આ અવસરે કમિશનર શ્રી તેજસ પરમાર, આસિસ્ટન્ટ કલેકટર સુશ્રી વંદના વીણા, આસિસ્ટન્ટ કલેકટર શ્રી પ્રતીક જૈન, સંયુક્ત માહિતી નિયામક શ્રી મિતેશ મોડાસિયા, તેમજ શ્રી કે.વી. બાટી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ મહાશિવરાત્રી મેળો સુચારૂ, સુરક્ષિત અને સ્મરણિય બને તે માટે વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ હોવાનું સ્પષ્ટ થયું હતું.





