
અખિલ ભારતીય ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા અતિ કઠિન અને પડકારજનક હોવા છતાં દેશભરના સ્પર્ધકો ઉત્સાહભેર ભાગ લઈ ગિરનાર પર્વતને સર કરે છે. આ સ્પર્ધા દરમિયાન ગંભીર ઇજાઓ થવાની પણ સંભાવનાઓ રહેતી હોય છે, તેવા સંજોગોમાં સ્પર્ધકોને સમયસર અને યોગ્ય તબીબી સારવાર મળી રહે તે માટે વિશેષ આરોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી.
જૂનાગઢ સિવિલ હોસ્પિટલ દ્વારા કુલ 5 મેડિકલ ટીમો તૈનાત કરવામાં આવી હતી, જેઓએ સમગ્ર સ્પર્ધા રૂટ પર સ્પર્ધકોને જરૂરી આરોગ્ય સેવાઓ પૂરી પાડી હતી. સિવિલ હોસ્પિટલના ફિઝીશિયન ડૉ. નીધી રામાણીએ જણાવ્યું હતું કે, આ કઠિન સ્પર્ધા દરમિયાન કોઈપણ પ્રકારની તાત્કાલિક સારવાર ઉપલબ્ધ રહે તે માટે આયોજનબદ્ધ રીતે મેડિકલ ટીમોની વ્યવસ્થા કરવામાં આવી હતી.
તેમણે ઉમેર્યું હતું કે, ગિરનારની સીડીઓ પર સ્પર્ધા દરમિયાન જો કોઈ સ્પર્ધકને સારવારની જરૂર પડે તો તાત્કાલિક સેવા મળી રહે તે માટે 3 મેડિકલ ટીમો સીડી માર્ગ પર તૈનાત રાખવામાં આવી હતી. જ્યારે અન્ય 2 ટીમો મંગલનાથ આશ્રમ ખાતે તૈનાત રાખી સ્પર્ધકોને આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.
આ કઠિન સ્પર્ધા દરમિયાન સ્પર્ધકોને મુખ્યત્વે નસ ખેંચાવા, મસલ ક્રેમ્પ્સ, થાક તેમજ સાંધાના દુખાવા જેવી સમસ્યાઓ થતી હોય છે. તેવા સમયે મેડિકલ ટીમ દ્વારા ડાયક્લોફિનેક જેલ, પેઇન રિલીફ સ્પ્રે, ગ્લુકોઝ પાવડર, ગરમ પટ્ટા અને બૅન્ડેજ જેવી જરૂરી સારવાર આપવામાં આવી હતી.
સ્પર્ધકો દ્વારા મેડિકલ ટીમની તત્પરતા અને વ્યવસ્થા અંગે સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આયોજકોના જણાવ્યા મુજબ, ખેલાડીઓની સુરક્ષા અને આરોગ્ય રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રની સર્વોચ્ચ પ્રાથમિકતા છે, જેના કારણે ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા સુરક્ષિત અને સફળ રીતે સંપન્ન થઈ હતી.





