
ગાંધીનગર શહેરમાં ટાઈફોઈડના રોગચાળાના કારણે સર્જાયેલી પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. બેઠકમાં આરોગ્ય વિભાગ, શહેરી વિકાસ વિભાગ તેમજ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે નાગરિકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે. તેમણે ટાઈફોઈડ સહિતના પાણીજન્ય રોગચાળાના નિયંત્રણ અને નિવારણ માટે આરોગ્ય વિભાગ તથા સંબંધિત અધિકારીઓને વધુ સઘન અને અસરકારક પગલાં લેવા દિશાનિર્દેશ આપ્યા. ખાસ કરીને રાજ્યના તમામ શહેરી વિસ્તારોમાં પીવાના પાણીના નમૂનાઓ દરરોજ લેવામાં આવે, તેની ગુણવત્તા અને ક્લોરિનેશનના રિપોર્ટ્સની ખાતરી થયા પછી જ પાણી વિતરણ કરવામાં આવે તેવા સ્પષ્ટ આદેશો આપવામાં આવ્યા.
બેઠક દરમિયાન ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરશ્રીએ રોગચાળાના નિયંત્રણ માટે મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગના સંકલનમાં હાથ ધરવામાં આવેલી કામગીરીની વિગતવાર માહિતી મુખ્યમંત્રીશ્રીને આપી. તેમણે જણાવ્યું કે હાલ ટાઈફોઈડના નવા કેસોમાં ધીમે ધીમે ઘટાડો નોંધાઈ રહ્યો છે, જે રાહતજનક બાબત છે.
મહાનગરપાલિકા દ્વારા કુલ 85 સર્વે ટીમો રચી અત્યાર સુધીમાં 1 લાખ 58 હજારથી વધુ નાગરિકોનું આરોગ્ય સર્વેલન્સ કરવામાં આવ્યું છે. ઉપરાંત, સંવેદનશીલ વિસ્તારોમાં ક્લોરિન ટેબલેટ્સ અને ORS પેકેટ્સનું પૂરતા પ્રમાણમાં વિતરણ કરવામાં આવ્યું છે. પીવાના પાણીની લાઈનોમાં થયેલા લીકેજીસના રિપેરીંગ કામને અગ્રતા આપવામાં આવી છે તેમજ શહેરના તમામ પાણીના સ્ત્રોતોમાં સુપર ક્લોરિનેશન કરવામાં આવ્યું હોવાનું પણ કમિશનરશ્રીએ જણાવ્યું.
મુખ્યમંત્રીશ્રીએ આ કામગીરીને વધુ ગતિ આપવા સાથે નાગરિકોમાં જાગૃતિ ફેલાવા પર પણ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે સ્વચ્છ પાણી, સ્વચ્છતા અને તાત્કાલિક સારવાર દ્વારા જ આવા રોગચાળાને અસરકારક રીતે કાબૂમાં લઈ શકાય છે. રાજ્ય સરકાર નાગરિકોના આરોગ્યની સુરક્ષા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.





