
ગાંધીનગર ખાતે પશુપાલન રાજ્ય મંત્રી શ્રી રમેશભાઈ કટારાની અધ્યક્ષતામાં ‘શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહ 2025-26’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ રાજ્યભરના શ્રેષ્ઠ પશુપાલકોને પ્રોત્સાહન આપવાનો અને પશુપાલન ક્ષેત્રમાં ઉત્તમ કામગીરી કરનાર પશુપાલકોનું સન્માન કરવાનો હતો.
આ સમારોહ દરમિયાન રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમ મેળવનાર જૂનાગઢ જિલ્લાના પશુપાલક શ્રી અરજણભાઈ ઓડેદરાને સન્માનિત કરવામાં આવ્યા હતા. દ્વિતીય ક્રમ સુરત જિલ્લાના પશુપાલક શ્રી ખંડુભાઈ પટેલે પ્રાપ્ત કર્યો હતો, જ્યારે તૃતીય ક્રમ મોરબી જિલ્લાના પશુપાલક શ્રી પ્રવિણભાઈ પટેલે મેળવ્યો હતો. મંત્રીશ્રીએ વિજેતા પશુપાલકોને પ્રમાણપત્ર, ટ્રોફી અને પ્રોત્સાહક રાશિના ચેક અર્પણ કરી તેમની કાર્યક્ષમતા અને મહેનતને બિરદાવ્યા.
સમારોહમાં રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાએ વિજેતા બનેલા કુલ 565 શ્રેષ્ઠ પશુપાલકોને ₹91 લાખથી વધુની પ્રોત્સાહક રાશિના ચેક આપવામાં આવ્યા હતા. મંત્રીશ્રીએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે પશુપાલન ક્ષેત્ર રાજ્યની ગ્રામિણ અર્થવ્યવસ્થાનો મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. પશુપાલકોની આવકમાં વધારો થાય અને તેઓ આધુનિક પદ્ધતિઓ અપનાવે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયાસશીલ છે.
આ અવસરે મંત્રી શ્રી રમેશભાઈ કટારાના હસ્તે રાજ્યમાં ₹7.24 કરોડના ખર્ચે નવનિર્મિત પશુ દવાખાના અને પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રોનું ઈ-લોકાર્પણ પણ કરવામાં આવ્યું. આ નવા આરોગ્ય કેન્દ્રો દ્વારા પશુપાલકોને તેમના નજીકના વિસ્તારમાં ગુણવત્તાસભર પશુચિકિત્સા સેવાઓ ઉપલબ્ધ થશે.
તે ઉપરાંત, રાજ્યમાં ગાભણ અને વિયાણ થયેલા પશુઓ માટે દાણ ભરેલા વાહનોને મંત્રીશ્રીએ લીલી ઝંડી આપી દાણ વિતરણની શરૂઆત કરાવી. તેમણે જણાવ્યું કે પશુઓના આરોગ્ય અને પોષણમાં સુધારો થશે તો દૂધ ઉત્પાદન તેમજ પશુપાલકોની આવકમાં પણ નોંધપાત્ર વધારો થશે. રાજ્ય સરકાર પશુપાલકોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ હોવાનું મંત્રીશ્રીએ આ પ્રસંગે ભારપૂર્વક જણાવ્યું.





