
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રાજ્યકક્ષાના દિવ્યાંગ ખેલાડીઓ માટે આયોજિત વિશેષ ખેલ મહોત્સવનો ભવ્ય પ્રારંભ રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો. ચાર દિવસ ચાલનારા આ દિવ્યાંગ ખેલ મહોત્સવનું આયોજન બ્લાઇન્ડ વેલ્ફેર કાઉન્સિલ, દાહોદ અને નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ, દાહોદના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ રાજ્યસ્તરીય સ્પેશિયલ ખેલ મહાકુંભ તરીકે ઓળખાય છે.
મંત્રી શ્રી રમેશભાઈ કટારાએ રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાંથી ઉત્સાહપૂર્વક ભાગ લેનારા દિવ્યાંગ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે હાર અને જીત રમતનો ભાગ છે, પરંતુ રમતમાં ભાગ લેવો એ સૌથી મહત્વપૂર્ણ બાબત છે. રમતગમત દ્વારા આત્મવિશ્વાસ, શિસ્ત અને પ્રતિભાનું વિકાસ થાય છે, અને દિવ્યાંગ ખેલાડીઓ પોતાની ક્ષમતાથી દાહોદ અને ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે.
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે રાજ્ય સરકાર દિવ્યાંગ ખેલાડીઓની પ્રતિભાને બહાર લાવવા માટે સતત પ્રયત્નશીલ છે અને તેમને રમતગમત ક્ષેત્રે પૂરતું મંચ મળી રહે તે માટે વિવિધ યોજનાઓ અને પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવી રહી છે. આવા ખેલ મહોત્સવો દિવ્યાંગ ખેલાડીઓમાં રમતભાવના, આત્મબળ અને સામાજિક સમાવેશને પ્રોત્સાહન આપે છે.
આ અવસરે દાહોદ જિલ્લાના એવા ખેલાડીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા જેમણે દુબઈ ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય ઍથલેટિક્સ સ્પર્ધામાં ત્રીજો ક્રમ મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. મંત્રીશ્રીએ પોતાના આશીર્વાદ સાથે ખેલાડીઓને બિરદાવ્યા હતા.
કાર્યક્રમના અંતે મંત્રી શ્રી રમેશભાઈ કટારાએ 100 મીટર દોડની શરૂઆત કરાવી હતી અને તમામ ખેલાડીઓને શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર, દેવગઢ બારીયા રાજપરિવારની રાજમાતા શ્રીમતી ઉર્વશીદેવી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી અરવિંદાબેન પટેલિયા, લાયઝન ઓફિસર શ્રી ગોસાઈ, જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી બારીયા, જિલ્લા રમત અધિકારી શ્રી રાઠવા, મામલતદાર શ્રી સમીર પટેલ, દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ, બ્લાઇન્ડ વેલ્ફેર કાઉન્સિલના પ્રતિનિધિઓ, અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા ખેલાડીઓ અને મહાનુભાવો હાજર રહ્યા હતા.





