
દાહોદ જિલ્લામાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે દાહોદ ઘટક–૩ સ્થિત આંગણવાડી કેન્દ્ર ખાતે પોષણ ઉડાન કાર્યક્રમ–2026ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકો અને કિશોરીઓમાં પોષણ, આરોગ્ય અને શિક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન આંગણવાડી કેન્દ્રના બાળકોને પતંગ, દોરી અને ચીકીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉતરાયણ પર્વને લઈને આંગણવાડી કાર્યકર બહેનો તેમજ બાળકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. બાળકોએ રંગબેરંગી પતંગો ચગાવી આનંદ માણ્યો હતો અને તહેવારની ખુશી સાથે પોષણ અંગે સંદેશ પણ પ્રાપ્ત કર્યો હતો.
આંગણવાડી કેન્દ્રોમાં બાળકોની સાથે કિશોરીઓને પણ પોષણ ઉડાન કાર્યક્રમ સાથે જોડવામાં આવ્યા હતા. કિશોરીઓ દ્વારા પતંગો પર પોષણ અને આરોગ્ય સંબંધિત મહત્વપૂર્ણ સંદેશાઓ લખવામાં આવ્યા હતા, જેમ કે સંતુલિત આહાર, સ્વચ્છતા, નિયમિત વ્યાયામ અને સ્વસ્થ જીવનશૈલી. ત્યારબાદ આ પતંગો ઉડાવીને પોષણ અને આરોગ્યનો સંદેશ સમાજ સુધી પહોંચાડવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન કિશોરીઓને આરોગ્ય સારું રહે, યોગ્ય પોષણ મળે અને શિક્ષણમાં આગળ વધે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ કિશોરીઓનું વજન, ઉંચાઈ અને હિમોગ્લોબિન (Hb)ની તપાસ પણ કરવામાં આવી હતી. આરોગ્ય તપાસના આધારે શ્રેષ્ઠ આરોગ્ય ધરાવતી કિશોરીને પ્રોત્સાહનરૂપે ઇનામનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનાથી અન્ય કિશોરીઓને પણ સ્વસ્થ રહેવા માટે પ્રેરણા મળી હતી.
આ કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર બહેનો, સહાયક બહેનો, કિશોરીઓ તેમજ સ્થાનિક લોકોની સક્રિય ભાગીદારી જોવા મળી હતી. પોષણ ઉડાન કાર્યક્રમ–2026 દ્વારા બાળકો અને કિશોરીઓમાં પોષણ અને આરોગ્ય અંગે જાગૃતિ લાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
દાહોદ ઘટક–૩ આંગણવાડી કેન્દ્ર ખાતે યોજાયેલી આ ઉજવણીથી પોષણ, આરોગ્ય અને સંસ્કૃતિનું સુંદર સંયોજન સર્જાયું હતું, જે સ્થાનિક સમુદાય માટે પ્રેરણાસ્રોત બન્યું હતું.





