છોટાઉદેપુરમાં દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય વિતરણ કેમ્પ: 169 બાળકોને સમગ્ર શિક્ષા અને ALIMCO દ્વારા સહાયક સાધનો એનાયત


છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લાના દિવ્યાંગ બાળકો આત્મનિર્ભર બની શિક્ષણ મેળવી શકે અને સામાજિક મુખ્યધારામાં જોડાઈ શકે તેવા ઉમદા હેતુ સાથે સમગ્ર શિક્ષા ગાંધીનગર અને ALIMCOના સંયુક્ત ઉપક્રમે બી.આર.સી ભવન, છોટાઉદેપુર ખાતે ‘દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પ્રાયોજના વહીવટદારશ્રી કલ્પેશકુમાર શર્માના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

આ કેમ્પ દરમિયાન જિલ્લામાં આવેલા છોટાઉદેપુર, પાવીજેતપુર અને કવાંટ તાલુકાની શાળાઓમાં અભ્યાસ કરતા બાલવાટિકા થી ધોરણ 12 સુધીના કુલ 169 દિવ્યાંગ બાળકોને તેમની જરૂરિયાત અનુસાર વિવિધ સહાયક સાધનો એનાયત કરવામાં આવ્યા હતા. આ સાધનો દ્વારા દિવ્યાંગ બાળકોને શિક્ષણ અને દૈનિક જીવનમાં સહેલાઈ મળે તે મુખ્ય ઉદ્દેશ છે.

અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતા પ્રાયોજના વહીવટદારશ્રી કલ્પેશકુમાર શર્માએ જણાવ્યું હતું કે, દિવ્યાંગ બાળકોમાં રહેલી વિશેષ ક્ષમતાઓને વિકસાવવા યોગ્ય સાધનો અને સુવિધાઓ પૂરી પાડવી સરકારની પ્રાથમિકતા છે. આવા સાધનો બાળકોના જીવનમાં નવી આશા જગાવે છે અને તેમને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરણા આપે છે.

આ કેમ્પમાં હિયરિંગ એઈડ (કાનનું મશીન) 8, ટ્રાઈસિકલ 8, MR કીટ (બૌદ્ધિક અક્ષમતા ધરાવતા બાળકો માટે) 111, CP ચેર 7, સ્માર્ટ કેન (દ્રષ્ટિહીન બાળકો માટે) 1, વ્હીલચેર 9, કાફો-આફો (હલન-ચલન ખામી ધરાવતા બાળકો માટે) 17, બગલ ઘોડી 26, વોકર 3, રોલેટર 9, વોકિંગ સ્ટીક 1 અને બ્રેઇલ પુસ્તકો 4 એમ વિવિધ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી આનંદકુમાર પરમાર તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી જે.કે. પરમારે પણ પ્રાસંગિક ઉદબોધન કરી દિવ્યાંગ બાળકો અને તેમના વાલીઓને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે સમાવેશી શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો.

કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહાસંઘના જિલ્લા પ્રમુખ શ્રી રમણભાઈ રાઠવા, જિલ્લા શિક્ષક મહાસંઘના ઉપાધ્યક્ષ શ્રી મહેશભાઈ વણકર, જિલ્લા IED કો-ઓર્ડિનેટર શ્રી દિનેશભાઈ બામણીયા, BRC કો-ઓર્ડિનેટર શ્રી હિતેશભાઈ સોલંકી સહિત મોટી સંખ્યામાં શિક્ષકો, વાલીઓ અને દિવ્યાંગ બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આવા સાધન સહાય કેમ્પો દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ અને સમાન અવસર સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.


  • Related Posts

    એકતાનગર વિકાસ અને રાષ્ટ્રીય એકતાનું પ્રતિક: ઓડિશાની ઉપમુખ્યમંત્રી પ્રવતિ પરીદાનો ઉલ્લેખ


    ગુજરાતના પ્રખ્યાત પર્યટન કેન્દ્ર Ekta Nagar અંગે ઓડિશાની ઉપમુખ્યમંત્રી Pravati Paridaએ પ્રશંસાપૂર્વક નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે એકતાનગર માત્ર પર્યટન સ્થળ જ નથી, પરંતુ વિકાસ, નવીનતા અને રાષ્ટ્રીય એકતાનું…


    માધવપુર મેળો 2026 માટે તંત્ર સજ્જ: પોરબંદરમાં પૂર્વ તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ


    આગામી Madhavpur Fair 2026ને સુચારુ અને સફળ બનાવવા માટે પોરબંદર કલેક્ટર કચેરી ખાતે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક નિવાસી અધિક જિલ્લા કલેક્ટર Rekhabaa Sarvaiyaના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી,…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *