
છોટાઉદેપુર: દીનદયાલ અંત્યોદય યોજના – નેશનલ રૂરલ લાઇવલિહૂડ મિશન (DAY-NRLM) અંતર્ગત છોટાઉદેપુર તાલુકામાં આદિવાસી ગેસ્ટ હાઉસની શરૂઆત કરવામાં આવી છે. આ ગેસ્ટ હાઉસનું ઉદ્ઘાટન તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પહેલ ગ્રામિણ વિસ્તારોમાં સ્વસહાય જૂથોને આર્થિક રીતે સશક્ત બનાવવાના ઉદ્દેશથી અમલમાં મૂકવામાં આવી છે.
છોટાઉદેપુર તાલુકા પંચાયત કચેરી તથા આશુતોષ સખી મંડળના સહયોગથી સામાન્ય હોસ્પિટલ સામે આ આદિવાસી ગેસ્ટ હાઉસની સ્થાપના કરવામાં આવી છે. ગેસ્ટ હાઉસનો મુખ્ય હેતુ જિલ્લાની મુલાકાતે આવતા દર્દીઓ, તેમના સગા-સંબંધીઓ તેમજ સામાન્ય મુલાકાતીઓને સ્વચ્છ, સુરક્ષિત અને સુવિધાજનક રહેઠાણ ઉપલબ્ધ કરાવવાનો છે. આ સુવિધાથી ખાસ કરીને ગ્રામિણ અને આદિવાસી વિસ્તારોમાંથી આવનારા લોકો માટે મોટી રાહત મળશે.
આ ગેસ્ટ હાઉસનું સંચાલન આશુતોષ સખી મંડળ દ્વારા કરવામાં આવશે, જેના કારણે DAY-NRLM યોજનાથી જોડાયેલા સ્વસહાય જૂથોની મહિલાઓને નિયમિત આવક અને સ્વરોજગારીની તક મળશે. આ પહેલ મહિલાઓના આર્થિક સશક્તિકરણ તેમજ સામાજિક વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. મહિલાઓ સ્વાવલંબી બની પોતાની આવકમાં વધારો કરી શકશે, તે સાથે વ્યવસાયિક કુશળતામાં પણ વિકાસ થશે.
ઉદ્ઘાટન પ્રસંગે પૂર્વ રેલવે રાજ્યમંત્રી શ્રી નરેણભાઈ રાઠવા, તાલુકા વિકાસ અધિકારી શ્રી દીપકભાઈ ચૌધરી, જિલ્લા લાઇવલિહૂડ મેનેજર શ્રી કેતનભાઈ પંડિત તેમજ છોટાઉદેપુર તાલુકાના કર્મચારીઓ અને DAY-NRLM યોજનાથી જોડાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
વક્તાઓએ જણાવ્યું હતું કે DAY-NRLM જેવી યોજનાઓ દ્વારા સરકાર ગ્રામિણ અને આદિવાસી વિસ્તારોમાં રોજગાર સર્જન અને આત્મનિર્ભરતા તરફ સતત આગળ વધી રહી છે. છોટાઉદેપુર તાલુકામાં શરૂ થયેલું આ આદિવાસી ગેસ્ટ હાઉસ ભવિષ્યમાં સ્વસહાય જૂથો માટે પ્રેરણારૂપ મોડેલ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.





