
સુરત: અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર લાગુ કરેલા ટેરિફમાં ઘટાડો કરતા ગુજરાત સહિત સમગ્ર દેશના હીરા અને જ્વેલરી ઉદ્યોગ માટે નવી આશાનું કિરણ જોવા મળ્યું છે. અમેરિકા દ્વારા ભારતીય માલ પર લાગુ 10 ટકાના ટેરિફને ઘટાડીને તાત્કાલિક અસરથી 7 ટકા કરવામાં આવતા છેલ્લા છ મહિનાથી મંદીની ઝપટમાં આવેલા હીરા ઉદ્યોગને મોટો રાહતનો શ્વાસ મળ્યો છે.
અમેરિકા ભારતના હીરા-જ્વેલરી ઉદ્યોગ માટે સૌથી મોટું બજાર છે. કુલ હીરા અને દાગીનાના નિકાસમાંથી અંદાજે 30 ટકા નિકાસ અમેરિકા થાય છે, જેનું વાર્ષિક મૂલ્ય આશરે 10 અબજ ડોલર જેટલું છે. તેમાંમાંથી 1થી 3 અબજ ડોલર જેટલો હીરાનો નિકાસ થાય છે. જોકે, વર્ષ 2024માં અમેરિકા દ્વારા ભારતીય હીરા-જ્વેલરી પર અગાઉ 25 ટકા અને ત્યારબાદ વધારાના 25 ટકા એમ કુલ 40 ટકા સુધીનો ભારે ટેરિફ લાગુ કરવામાં આવ્યો હતો.
આ ભારે ટેરિફના કારણે એપ્રિલથી ડિસેમ્બર 2024 દરમિયાન અમેરિકામાં ભારતીય હીરા-જ્વેલરીના નિકાસમાં ભારે ઘટાડો નોંધાયો હતો. જ્યાં અગાઉ આશરે 1 અબજ ડોલર જેટલો નિકાસ થતો હતો, ત્યાં ડિસેમ્બર 2024 સુધીમાં તેમાં 40 ટકાથી વધુ ઘટાડો થયો હતો. પરિણામે સુરત-મુંબઈના હીરા હબમાં કામકાજ પર ગંભીર અસર પડી હતી અને ઉદ્યોગ મંદીના વાદળોમાં ઘેરાઈ ગયો હતો.
હવે ટેરિફમાં ઘટાડાની જાહેરાત બાદ ઉદ્યોગજગતમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન શ્રી દિનેશભાઈ નવાડિયાએ જણાવ્યું હતું કે, “સુરતનું હીરા બજાર ફરી એકવાર ધમધમશે. અમેરિકન ટેરિફ ઘટાડાના કારણે નવા ઓર્ડરો મળશે અને ઉદ્યોગને નવી દિશા મળશે.” તેમણે ઉમેર્યું હતું કે, હીરા ઉદ્યોગે રાખેલી ધીરજનું મીઠું ફળ હવે મળતું જોવા મળી રહ્યું છે.
ટેરિફ ઘટાડાથી માત્ર હીરાના નિકાસમાં વધારો નહીં થાય, પરંતુ હીરા ઉદ્યોગનું ભવિષ્ય પણ વધુ સુરક્ષિત બનશે. ખાસ કરીને સુરત, જે વિશ્વનું સૌથી મોટું હીરા કટીંગ-પોલિશિંગ કેન્દ્ર છે, ત્યાં રોજગાર અને ઉત્પાદન બંનેમાં વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઉદ્યોગ નિષ્ણાતો માને છે કે, અમેરિકાના આ નિર્ણયથી મંદીના વાદળો છૂટશે અને ભારતના હીરા-જ્વેલરી ઉદ્યોગને નવી ઊર્જા અને વૈશ્વિક બજારમાં મજબૂત સ્થાન મળશે.





