
દેશના ૭૭મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે નવી દિલ્હીના ઐતિહાસિક કર્તવ્યપથ પર ગુજરાત રાજ્ય પોતાની અનોખી અને આકર્ષક ઝાંખી રજૂ કરવા જઈ રહ્યું છે. આ વર્ષે પ્રજાસત્તાક પર્વનો કેન્દ્રવર્તી વિષય “સ્વતંત્રતા કા મંત્ર : વંદે માતરમ” હોવાથી ગુજરાતની ઝાંખીમાં દેશભક્તિ, સ્વાતંત્ર્યસંગ્રામ અને રાષ્ટ્રીય ચેતનાનો સુમેળપૂર્ણ પ્રતિબિંબ જોવા મળશે.
‘વંદે માતરમ’ ગીતની ૧૫૦મી વર્ષગાંઠના ઉપલક્ષ્યમાં ગુજરાતના ટેબ્લોમાં ભારતીય રાષ્ટ્રધ્વજની નિર્માણયાત્રા, સમયાંતરે બદલાતી તેની તાસીર અને ઐતિહાસિક પૃષ્ઠભૂમિની રોચક રજૂઆત કરવામાં આવશે. રાષ્ટ્રપ્રેમની ભાવનાને ઉજાગર કરતી આ ઝાંખી પ્રજાસત્તાક પર્વમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે.
ટેબ્લોમાં સ્વાધીનતાની લડાઈ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનારા વીર સપૂતોને સ્મરણ કરી રાષ્ટ્રીય ચેતનાને જગાવનારા, ‘રાષ્ટ્રીય શાયર’ તરીકે ઓળખાતા ગુજરાતી સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણી રચિત પ્રસિદ્ધ ગીત **‘કસુંબીનો રંગ’**ના તાલે કલાકારો જુસ્સાભેર પ્રસ્તુતિ આપશે, જે સમગ્ર ઝાંખીને ઊર્જાવંતી અને જીવંત બનાવશે.
આ ઉપરાંત, વિદેશની ધરતી પરથી ક્રાંતિજ્યોત પ્રગટાવનારા શ્યામજી કૃષ્ણવર્મા, સરદારસિંહ રાણા અને ખાસ કરીને મેડમ ભિખાઈજી કામા દ્વારા તૈયાર કરાયેલા ‘વંદે માતરમ’ લખિત ધ્વજની યશોગાથાનું મનોહર વર્ણન ટેબ્લોમાં કરવામાં આવશે. આ ઐતિહાસિક પ્રસ્તુતિ સ્વાતંત્ર્યસંગ્રામના વૈશ્વિક પ્રભાવને ઉજાગર કરશે.
ટેબ્લોમાં ચરખાના માધ્યમથી સ્વદેશીનો મંત્ર આપનારા મહાત્મા ગાંધીજીની સ્મૃતિ સાથે આજના સમયમાં ચાલતા ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનનો સુભગ સમન્વય પણ દર્શાવવામાં આવશે. ઇતિહાસ અને વર્તમાનને જોડતી આ અનોખી ઝાંખી ગુજરાતની સંસ્કૃતિ, રાષ્ટ્રપ્રેમ અને વિકાસની દૃષ્ટિને રાષ્ટ્રીય મંચ પર ગૌરવપૂર્વક રજૂ કરશે.





