
સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના હજીરા ખાતે સામાજિક સેવાનો અનોખો અને પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ગંગાસ્વરૂપા બહેનોને આર્થિક સહાય, જરૂરિયાતમંદ નાગરિકોને મેડિકલ સાધનો તેમજ શાળાના બાળકોને યુનિફોર્મ સહાયનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવાકીય કાર્યક્રમ દ્વારા સમાજના અંતિમ પાંખે રહેલા લોકો સુધી સહાય પહોંચાડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, ગણેશ ઉત્સવ માત્ર ધાર્મિક પર્વ નથી, પરંતુ આસ્થા, એકતા અને સેવા ભાવનાનું પ્રતિબિંબ છે. હજીરા રાધેક્રિષ્ના સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હજીરા ઓવારા ખાતે ગણેશ વિસર્જન માટે કરવામાં આવતી સુવ્યવસ્થિત તૈયારી અને વ્યવસ્થાઓ પ્રશંસનીય છે. ખાસ કરીને ગણેશ વિસર્જન દરમિયાન ભક્તો દ્વારા આપવામાં આવતું દાન સંપૂર્ણપણે સેવાકીય પ્રવૃત્તિઓમાં ઉપયોગમાં લેવામાં આવે છે, જે સમગ્ર સમાજ માટે એક ઉત્તમ અને પ્રેરક ઉદાહરણ છે.
નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૫ના ગણેશ વિસર્જન દરમિયાન હજીરા રાધેક્રિષ્ના સેવા ચેરિટેબલ ટ્રસ્ટને બોટ પોઈન્ટ ઓવારા ખાતે મળેલા દાનમાંથી આ સહાયનું આયોજન કરવામાં આવ્યું છે. આ સહાયથી ગંગાસ્વરૂપા બહેનોને આર્થિક આધાર મળ્યો છે, જરૂરિયાતમંદ દર્દીઓને જરૂરી મેડિકલ સાધનો પ્રાપ્ત થયા છે અને શાળાના બાળકોને યુનિફોર્મ સહાય મળવાથી તેમના શિક્ષણમાં પ્રોત્સાહન મળશે.
આ કાર્યક્રમ દ્વારા ધાર્મિક ઉત્સવને સમાજસેવા સાથે જોડવાનો ઉત્તમ સંદેશ આપવામાં આવ્યો છે. ધાર્મિક આસ્થા સાથે સામાજિક જવાબદારી નિભાવવી એ સાચી સેવા હોવાનું નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. આવા સેવાકીય પ્રયાસો સમાજમાં સહકાર, સંવેદના અને માનવતા જેવા મૂલ્યોને મજબૂત બનાવે છે.
આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય શ્રી સંદિપભાઈ દેસાઈ, અગ્રણી શ્રીમતી ઝંખનાબેન પટેલ, હજીરા રાધેક્રિષ્ના સેવા ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં સેવા અને સમર્પણની ભાવના છલકાઈ રહી હતી અને ઉપસ્થિત સૌએ આ સેવાકીય પહેલને બિરદાવી હતી.





