
‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના દૃઢ સંકલ્પને સાકાર કરતી ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ: સૌરાષ્ટ્ર-કચ્છ’નો રાજકોટથી ભવ્ય પ્રારંભ થયો. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કરકમળે આ અવસરે પાંચ દિવસીય ભવ્ય બિઝનેસ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ એક્ઝિબિશન સૌરાષ્ટ્ર-કચ્છની ઔદ્યોગિક શક્તિ, નવીનતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિને રાષ્ટ્રીય તથા વૈશ્વિક મંચ પર પ્રસ્તુત કરે છે.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસની પ્રેરક ઉપસ્થિતિ રહી. મહાનુભાવોએ એક્ઝિબિશનના વિવિધ પેવિલિયનની મુલાકાત લઈ સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ, MSME, હસ્તકલા અને ટેક્નોલોજી આધારિત ઉત્પાદનોની ઝાંખી નિહાળી. તેમણે ઉદ્યોગકારો અને કારીગરો સાથે સંવાદ કરી પ્રદેશની અપાર સંભાવનાઓને નજીકથી અનુભવ્યું.
૧૮,૦૦૦ ચોરસ મીટરમાં ફેલાયેલ આ વિશાળ બિઝનેસ એક્ઝિબિશનમાં ‘એન્ટરપ્રાઇઝ એક્સેલન્સ’થી લઈને ‘હર ઘર સ્વદેશી’ સુધીના વિચારને જીવંત રૂપ આપવામાં આવ્યું છે. અહીં મેન્યુફેક્ચરિંગ, એગ્રો-પ્રોસેસિંગ, રિન્યુએબલ એનર્જી, મેડિકલ ડિવાઇસ, સેરામિક્સ, ડાયમંડ અને ટેક્સટાઇલ જેવા ક્ષેત્રોની સિદ્ધિઓ દર્શાવવામાં આવી રહી છે. સાથે જ, સ્થાનિક કલા-કૌશલ્ય, હસ્તકલા અને સ્વદેશી ઉત્પાદનોને આધુનિક બજાર સાથે જોડવાની દિશામાં પણ વિશેષ પ્રયાસ કરવામાં આવ્યો છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ રાજ્યના વિવિધ વિસ્તારોની ક્ષમતાને વૈશ્વિક તકો સાથે જોડવાનું સશક્ત માધ્યમ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં રહેલી ઔદ્યોગિક, માનવ સંસાધન અને કુદરતી શક્તિ ભારતના વિકાસને નવી ઊંચાઈ આપી શકે છે તેમ તેમણે ઉમેર્યું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે આ કોન્ફરન્સ અને એક્ઝિબિશનથી સૌરાષ્ટ્ર-કચ્છમાં રોકાણ, રોજગાર અને નવીનતાને નવી ગતિ મળશે. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ ‘વિકસિત ભારત’ના લક્ષ્ય તરફ ગુજરાતની મજબૂત ભૂમિકા વધુ સ્પષ્ટ કરે છે.





