
રાજ્યમાં આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ અને સર્વસામાન્ય જનતા સુધી પહોંચાડવાના હેતુથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્સરની વહેલી પ્રાથમિક તપાસ માટે અત્યંત મહત્વપૂર્ણ એવી **કેન્સર સ્ક્રિનિંગ વાન – ‘આશા વાન’**નું ગાંધીનગર ખાતે લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે જેનબર્ક ફાર્માના એમડી શ્રી આશિષ ભૂતા તેમજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ભાવનગર બ્રાન્ચના પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ભાવનગરને ડોનેશન સ્વરૂપે પ્રાપ્ત થયેલી આ અદ્યતન કેન્સર સ્ક્રિનિંગ વાનમાં EVA-Pro ડાયગ્નોસ્ટિક સિસ્ટમ, મેમોગ્રાફી યુનિટ અને નિષ્ણાત ટેલી-કન્સલ્ટેશન સુવિધા ઉપલબ્ધ છે. આ વાન દ્વારા ગામડાં અને દુરદરાજ વિસ્તારોમાં રહેતા લોકોને સ્થળ પર જ આધુનિક આરોગ્ય તપાસની સુવિધા મળશે, જે કેન્સરના વહેલા નિદાનમાં મહત્વપૂર્ણ સાબિત થશે.
‘આશા વાન’ દ્વારા લંગ કેન્સર, ઓરલ કેન્સર, બ્લડ કેન્સર, સર્વાઈકલ કેન્સર, પેન્ક્રિયાટિક કેન્સર, લીવર કેન્સર તેમજ બ્રેસ્ટ અને પ્રોસ્ટેટ કેન્સર જેવા ગંભીર રોગોના સ્ક્રિનિંગની સુવિધા ઉપલબ્ધ રહેશે. અદ્યતન અને અલ્ટ્રા-મોડર્ન ઇન્સ્ટ્રુમેન્ટેશનથી સજ્જ આ વાનમાં દર્દીઓનું સ્થળ પર જ પ્રાથમિક નિદાન શક્ય બનશે.
લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કેન્સર જેવી ગંભીર બીમારીઓમાં વહેલી તપાસ જીવન બચાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. રાજ્ય સરકાર આરોગ્ય ક્ષેત્રે ટેકનોલોજી આધારિત નવી પહેલો દ્વારા જનતા સુધી ગુણવત્તાયુક્ત સેવાઓ પહોંચાડવા પ્રતિબદ્ધ છે. તેમણે રેડ ક્રોસ સોસાયટી અને ખાનગી સંસ્થાઓ દ્વારા કરવામાં આવતી સામાજિક જવાબદારીની પણ પ્રશંસા કરી હતી.
આ ‘આશા વાન’ માત્ર એક મોબાઇલ મેડિકલ યુનિટ નથી, પરંતુ કેન્સર સામેની લડાઈમાં આશા, જાગૃતિ અને સમયસર સારવારનો વિશ્વસનીય સાધન બની રહેશે. આ પહેલથી રાજ્યના અનેક લોકોને સમયસર નિદાન અને યોગ્ય સારવાર મળવામાં મદદ મળશે, જે જાહેર આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગથિયો સાબિત થશે.





