
પ્રજાસત્તાક પર્વના પાવન અવસરે જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરે નાગરિકોને સંબોધન કરતાં દેશની એકતા, અખંડિતતા અને લોકશાહી મૂલ્યોને વધુ મજબૂત બનાવવા માટે સૌને સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે ભારતનું બંધારણ માત્ર આપણા દેશ માટે જ નહીં, પરંતુ વિશ્વના અનેક લોકતાંત્રિક દેશો માટે પણ આદર્શ નમુનારૂપ રહ્યું છે, જે આપણને ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના મૂલ્યો શીખવે છે.
શ્રી ઠક્કરે પોતાના સંબોધનમાં દેશના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, સોમનાથ મંદિરના પુનઃનિર્માણમાં જામનગરના મહારાજા જામ સાહેબ દિગ્વિજયસિંહજી રણજીતસિંહજી જાડેજાનું અભૂતપૂર્વ યોગદાન રહ્યું છે. તેમનો ત્યાગ અને દેશભક્તિ ભાવિ પેઢીઓ માટે પ્રેરણારૂપ છે. તેમણે ઉમેર્યું કે સોમનાથ મંદિર ભારતની આસ્થા, સંસ્કૃતિ અને પુનરુત્થાનનું પ્રતિક છે.
જિલ્લા કલેક્ટરે વિકાસલક્ષી યોજનાઓની ચર્ચા કરતાં જણાવ્યું કે માનનીય વડાપ્રધાનશ્રીએ છેલ્લા એક વર્ષ દરમિયાન જામનગર જિલ્લાને રૂ. 833 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી છે. આ વિકાસ કાર્યોમાં માર્ગ વ્યવસ્થા, શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય, શિક્ષણ અને જનકલ્યાણ સંબંધિત યોજનાઓનો સમાવેશ થાય છે, જેનાથી જિલ્લાના સર્વાંગી વિકાસને વેગ મળ્યો છે.
આ ઉપરાંત, મુખ્યમંત્રીશ્રીએ લોકાર્પણ કરેલ સૌરાષ્ટ્રનો સૌથી લાંબો આઇકોનિક ઓવરબ્રિજ જામનગરની નવી ઓળખ બની ગયો હોવાનું શ્રી ઠક્કરે જણાવ્યું. આ ઓવરબ્રિજથી ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો થયો છે અને શહેરના શહેરી વિકાસમાં મહત્વપૂર્ણ પગથિયું સાબિત થયું છે.
શ્રી કેતન ઠક્કરે અંતમાં જણાવ્યું કે વિકાસ સાથે સંસ્કૃતિ, લોકશાહી અને એકતાનું સંરક્ષણ જરૂરી છે. નાગરિકો બંધારણમાં આપેલા હક્કો સાથે ફરજોનું પાલન કરે, એ જ સાચી રીતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગણાશે. તેમણે તમામ નાગરિકોને દેશના વિકાસમાં સક્રિય ભાગીદાર બનવા માટે આહ્વાન કર્યું.





