
છોટાઉદેપુર જિલ્લામાં પીવાના પાણી અને સિંચાઈની સુવિધાઓ વધુ સુદ્રઢ બને તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા અસરકારક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે આજે છોટાઉદેપુર જિલ્લાની મુલાકાત લઈ સિંચાઈ અને પાણી પુરવઠા વિભાગ હેઠળ અમલમાં રહેલી વિવિધ વિકાસલક્ષી યોજનાઓની સ્થળ પર જઈ સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. તેમણે નસવાડી, બોડેલી અને પાવીજેતપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં ચાલી રહેલા કામોની પ્રગતિ નિહાળી અધિકારીઓને તમામ કામગીરી ગુણવત્તાયુક્ત અને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.
મંત્રીશ્રીએ બોડેલી તાલુકાના રાજવાસણા ગામ ખાતે હેરણ નદી પર રૂ. ૮૩ કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલા રાજ્યના મહત્વપૂર્ણ અને આધુનિક **‘રબર ડેમ’**ની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં નિર્માણ પામી રહેલા કુલ ત્રણ રબર ડેમ પૈકીનો આ એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે. ૧૮૦ મીટર લાંબા અને ૩.૫ MCM પાણી સંગ્રહ ક્ષમતા ધરાવતા આ ડેમથી બોડેલી અને સંખેડા તાલુકાના ૨૫ ગામોના કુલ ૩૪૨૦ હેક્ટર વિસ્તારમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થશે, જેના કારણે ખેડૂતોને મોટો લાભ મળશે.
આ ઉપરાંત, મંત્રીશ્રીએ સુખી જમણા કાંઠા મુખ્ય નહેરની જબુગામ ડિસ્ટ્રીબ્યુટરીના રૂ. ૪૭.૫૩ કરોડના ખર્ચે ચાલી રહેલા રિનોવેશન કાર્યની પણ સમીક્ષા કરી હતી. ૧૬ કિમી લાંબી આ નહેરની કામગીરી પૂર્ણ થતા ૩૨ ગામોના અંદાજે ૧૯૨૪ ખેડૂતોને સીધો લાભ મળશે અને સિંચાઈ ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે.
નસવાડી તાલુકાના પહાડી અને અંતરિયાળ વિસ્તારોમાં પીવાનું પાણી પહોંચાડવા માટે અમલમાં રહેલી ‘કુપ્પા જૂથ પાણી પુરવઠા યોજના’ની મુલાકાત લેતા મંત્રીશ્રીએ આ ભગીરથ પ્રયાસની પ્રશંસા કરી હતી. રૂ. ૯૧.૦૯ કરોડની આ યોજના હેઠળ નદીમાંથી ૩૩૫ મીટરની ઊંચાઈએથી પાણી લિફ્ટ કરી ૭૩ ગામો સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. ઉપરાંત, રૂ. ૬૬.૮૫ કરોડના ખર્ચે તૈયાર થયેલી હાથીપગલા–ઉમરવા યોજના દ્વારા પાવીજેતપુર, બોડેલી અને છોટાઉદેપુર તાલુકાના ૫૨ ગામોને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ તમામ યોજનાઓના અમલથી છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી અને ખેડૂતોને પૂરતું સિંચાઈ પાણી ઉપલબ્ધ થશે, જેના પરિણામે જિલ્લાના સર્વાંગી વિકાસને નવી ગતિ મળશે.





