
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર રંગબેરંગી પતંગોથી આકાશ ઝળહળી ઉઠ્યું હતું, જ્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર શ્રી ફ્રેડરિક મર્ઝે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ (International Kite Festival – IKF 2026)નું ભવ્ય ઉદ્ઘાટન કર્યું હતું. બંને મહાનુભાવોએ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પતંગ ઉડાવીને ઉત્સવની ઔપચારિક શરૂઆત કરી હતી. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની પ્રોત્સાહક હાજરી પણ ખાસ નોંધપાત્ર રહી હતી.
IKF-2026ના ઉદ્ઘાટન પ્રસંગે દેશ-વિદેશથી આવેલા પતંગપ્રેમીઓ, કલાકારો અને પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ઉત્સવ ગુજરાતની સાંસ્કૃતિક પરંપરા અને “ઉત્સવપ્રિય રાજ્ય”ની ઓળખને વૈશ્વિક સ્તરે ઉજાગર કરે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે પતંગોત્સવ માત્ર મનોરંજન નહીં પરંતુ એકતાનો, સંસ્કૃતિનો અને સર્જનાત્મકતાનો ઉત્સવ છે, જે લોકોના હૃદયોને જોડે છે.
ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન અને જર્મન ચાન્સેલરે ખાસ તૈયાર કરવામાં આવેલી અમદાવાદની ઐતિહાસિક પોલ અને હવેલીની આર્કિટેક્ચરલ રિપ્લિકાની મુલાકાત લીધી હતી. સાથે જ હેરિટેજ વોકવે પર આવેલા પતંગ મ્યુઝિયમ અને આઇકોનિક ફોટો વોલ પણ નિહાળ્યા હતા. અહીં બંને મહાનુભાવોને ભારતના વિવિધ રાજ્યોમાં બનતા અલગ-અલગ પ્રકારના પતંગો, વિવિધ કાગળ અને અનોખી ડિઝાઇન વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
પતંગ બનાવતા કારીગરોએ લાઈવ પતંગ બનાવવાની કળાનું પ્રદર્શન કર્યું હતું, જેને વડાપ્રધાન અને જર્મન ચાન્સેલરે ખૂબ રસપૂર્વક નિહાળ્યું હતું. પરંપરાગત કારીગરી અને આધુનિક કલાના સંયોજનથી બંને મહાનુભાવો ખૂબ પ્રભાવિત થયા હતા.
IKF-2026 દ્વારા અમદાવાદ ફરી એકવાર વૈશ્વિક મંચ પર છવાઈ ગયું છે. આ ઉત્સવ ભારત-જર્મની વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને મજબૂત બનાવવાની સાથે ગુજરાતના પ્રવાસનને નવી ઊંચાઈઓ પર લઈ જાય છે.





